‘બચ્ચે મન કે સચ્ચે’ અને બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે. એવી અનેક ઉક્ત્તિઓ નાના ભૂલકાંઓ માટે વપરાતી હોય છે. ખરેખર આ ઉમર એવી હોય છે જ્યારે તેઓ અસલ દુનિયાદારીથી તદ્દન અજાણ હોય છે. અને માત્ર પોતાની નિર્દોષ દુનિયામાં રાચતાં હોય છે. વધુમાં કહેવાય છે કે બાળકો તેમના વડીલોનું પ્રતિબિંબ હોય છે. તેઓ મોટેરાં કરે તેવું જ અનુકરણ કરવા પ્રયત્નો કરતાં હોય છે.
તમે ક્યારેક જોયું હશે કે નાની બેબીઓ મમ્મીની જેમ સાડી, સેન્ડલ અને પર્સ લટકાવીને લઈને રમતી હોય છે અને છોકરાઓ ઓફિસ – ઓફિસ રમતા થઈ જતા હોય છે. તેમના જમવાની ટેવ કે પછી બોલવા – ચાલવાની અદાઓ પણ એઓ માતા – પિતા કે વડીલો પાસેથી અનાયાસે જ શીખતાં હોય છે. એવામાં એ બહુ જ જરૂરી હોય છે કે વડીલો પોતાના બાળકો સાથે કઈ રીતનું વર્તન કરે.
ક્યારેક એવું બનતું હોય છે કે બાળકો પોતા તરફ ધ્યાન દોરવા સતત તોફાન કરે કે પછી કોઈ નાની – મોટી ભૂલ કરીને પછી ખોટું બોલે. ક્યારેક ખોટેખોટું રડી લેવાની પણ તેમને ટેવ પડી જતી હોય છે. આવે સમયે માતાઓ બાળકોને સમજાવવાને બદલે તેને મારે છે કે પછી ધમકાવીને તેમને કોઈ બાબતને લઈને ડરાવે છે. જેને લીધે કુમળાં બાળમાનસ પર ખોટી અને ઊંડી અસર પડે છે. ઘણીવખત એવું પણ બનતું હોય છે કે મોટું થયા પછી પણ બાળક અમુક બાબતોને ભૂલી શકતું નથી.
બાળકોને સમજાવવા પહેલાં એમને સમજવા પડે છે. તેઓ આવું વર્તન શાથી કરે છે? તેમના મનમાં શું ચાલી રહ્યું છે? ઘણીવખત તેમને ડરાવવામાં આવે છે અથવા તેમને બીક હોય છે કે મને મારશે કે ખીજાશે તેથી તેઓ ખોટું બોલી દે છે. તેમને નિર્ભિક સત્ય બોલતાં શીખવાડવું ખૂબ જરૂરી છે. અવારનવાર જો બાળક આવું કરે ત્યારે અકળાઈને તેને મારવું કે ધમકાવવાને બદલે કેટલી મહત્વની બાબતો છે જે અપનાવવાથી બાળકના કુમળાં માનસ પર ખૂબ જ સકારાત્મક અસર પડશે.
ઝટ દઈને બાળકોને પ્રતિભાવ ન આપવોઃ
ક્યારેક બાળક જિદ્દે ચડે કે રડે ત્યારે એમને તરત જ આપણે ખીજાઈ લઈએ છીએ. ક્યારેક એમની ફરમાઈશ પણ આપણે તરત જ માની જઈએ છીએ. કોઈ વસ્તુ લઈ આપવા માટે કે કોઈવાર તેઓ ફકત અટેનશન ગેઈન કરવા પણ આવું કરતું હોય છે. એવે સમય આપણે એમનું આવું વર્તન શાથી છે એ જાણવું જોઈએ. એકવાર એમની ડિમાન્ડ પૂરી કરી દેશો કે તરત એમને ટેવ પડી જશે એક પછી એક હઠ કરવાની કે જૂઠું બોલીને પોતાની વાત મનાવરાવવાની. આવું ન થાય તે માટે તેમને સમજવું જોઈશે અને પછી એમને પ્રેમથી સમજાવવું જોઈશે કે તેમણે કરેલ ડિમાન્ડ કેટલી જરૂરી છે. કોઈ રમકડું ખરીદવાની કે કોઈ અન્ય વાત હોય તે માનવી કેટલે અંશે વ્યાજબી છે એ વડીલોએ જાતે જ નક્કી કરીને સમજવું જોઈશે.