📖શ્રીમદ્ ભગવદ્ ગીતા📖

અધ્યાય: ૧૨ ભક્તિયોગ
શ્લોક:- ૧૯ ભાવાર્થ-૨

  • तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येनकेनचित्।
  • अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः।।૧૨.૧૯।।

શબ્દાર્થ:-

અને જે નિંદા-સ્તુતિમાં સમાનતાથી વર્તે છે, જે મૌન ધારણ કરે છે, જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહે છે, જેનો નિવાસ સ્થિર નથી, (સ્થળની આસક્તિ નથી) જેની બુદ્ધિ સ્થિર છે, તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. ।।૧૨.૧૯।।

ભાવાર્થ:-

8મી ડિસેમ્બરે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી' ઉજવાશે | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay
image soucre

હવે પ્રભુ કહે છે કે નિંદા-સ્તુતિ કરવામાં અને સાંભળવામાં Balanced રહ્યા પછી, તારે મૌની બનવાનું છે. મૌની બનવાની વાત પ્રભુ કરે છે, ત્યારે મૌની એટલે શું?? મૌન પાળનાર. આપણે મૌન શબ્દને જુદી રીતે જ સમજીએ છીએ. આપણે એમ સમજીએ છીએ કે મૌન પાળવું એટલે ન બોલવું, મોં બંધ રાખવું.

માત્ર વાણીનું મૌન એ વાસ્તવિક મૌન નથી. તેવું અહીં પ્રભુને અપેક્ષિત પણ નથી. જો વાણીનું મૌન રાખનારા ભક્ત હોય તો પ્રભુનું કીર્તન કરનારા, પ્રભુનો પ્રેમ સમજાવનારા, ભક્ત કહેવાય જ નહીં. એવું હોત તો ભક્ત બનવું બહુ સરળ થઇ જાત. પ્રભુએ આટલા બધા ગુણો કહ્યા તેની કોઈ જરૂર જ નહોતી. તો પછી નિંદા-સ્તુતિની વાત કહેવાનો પણ કોઈ અર્થ નથી. કશું જ ન કરનાર અક્કર્મી અને કશું જ ન બોલનાર મૂઢ, ભક્તની શ્રેણીમાં પ્રથમ આવે.

અહીં તો પ્રભુ ભગવદપ્રાપ્તિના માર્ગે જનારા સાધકના જરૂરી ગુણો બતાવે છે. તેથી અહીં મૌન શબ્દનો અર્થ વાણીનું મૌન એટલો સીમિત ન હોઈ શકે. મૌની એટલે મૂંગા રહેવાનું વ્રત લીધું હોય તેવું, ઓછું બોલનાર, મૌનવ્રતી સાધુપુરુષ, યથાર્થ મનન કરનાર, પોતાની શક્તિનો વ્યય ન કરનાર, વિચાર કરનાર. મૌનનો વાસ્તવિક અર્થ છે, મનનશીલતા.

આજે ગીતા જયંતિ નિમિત્તે ભગવદ્દગીતા વિશે જાણીએ
image source

Silence એ મૌન નથી. ઘણા લોકો મૌન વ્રત રાખે પછી કોઈ આવે તો ઇશારાથી વાત કરે. માંગવાનું હોય તે ઇશારાથી માંગે. સ્લેટમાં લખે, કાગળોમાં લખે અને કેટલુંયે લખી-લખીને ભરી કાઢે. આને Silence કહેવાય, મૌન ન કહેવાય. મૌન એટલે કે મનનશીલતા.

આપણને તો મૌન એટલે એટલું જ ખબર છે કે મૃતકની સ્મૃતિમાં મૌન પાળવું. એ પણ આપણે સરખું પાળી શકતા નથી. બે મિનિટનું મૌન ૩૦ કે ૪૦ સેકન્ડમાં જ પૂરું થઈ જાય છે. એ મૌન પણ મનન કરવા માટે જ છે. જીવનના શાશ્વત સત્ય એવા મૃત્યુનું મનન, આપણું પણ મૃત્યુ આવશે તેનું મનન, જનાર મહાપુરૂષના જીવનકર્મોનું મનન, આપણા જીવનકર્મોનું મનન, જીવન અને મૃત્યુ આપનાર પ્રભુનું મનન. જેવી જેવી મનકક્ષા, તેવું તેવું મનન.

કર્મ, ભક્તિ અને જ્ઞાાનનું નિરૂપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનેરો મહિમા | Anero Mahima of Srimad Bhagavad Gita which describes karma bhakti and gyan
image source

એ મૌન ગતાત્માની શાંતિ માટે છે કે અહીં રહી ગયેલાની શાંતિ માટે? આ પણ એક વિચારણીય મુદ્દો છે. જો કે પોતાના મૃત્યુ નિમિત્તે આટલી મોટી સંખ્યામાં મનનશીલ બનેલા લોકોને જોઈને એ શિવરૂપ થયેલા જીવને પણ શાંતિ મળતી જ હશે. જો બધાં મનનશીલ બનતા હશે તો !!!!

ખરેખર તો મૌન એમ જે પ્રભુ અહીં કહે છે, તે દરેક ઇન્દ્રિયોના મૌનના સંદર્ભે છે. દરેક ઇન્દ્રિયપ્રવૃત્તિ બંધ કરીને તેને પ્રભુમાં જોડવી એ સાચું મૌનીપણું છે. મૌનમાં બધી ઇન્દ્રિયોના વ્યવહારો બંધ થઈ જાય અને તેનો આત્મશક્તિ સાથે સંબંધ થાય એ આવશ્યક છે.

ગીતા જયંતિ – દિન વિશેષ ✍
image source

વાણીનું મૌન એટલે ન બોલવું એમ નહીં, પ્રભુનું જ બોલવું. મનનું મૌન એટલે કોઈ વિચાર ન કરવો એમ નહીં, પ્રભુનું જ ચિંતન કરવું. આંખનું મૌન એટલે આંખો મીંચવી કે ફોડી નાખવી એમ નહીં, સર્વત્ર હરિદર્શન કરવું. આ રીતે બધી ઇન્દ્રિયોના સ્થૂળ ભૌતિક વ્યવહારો બંધ થાય અને તે येनकेनचित् — જે તે રીતે પ્રભુ સાથે જોડાય એ અપેક્ષિત છે. પ્રભુ સાથે યોગ સાધવા માટે આ અતિઆવશ્યક છે.

આગળની પગથી પર જઈને જોઈએ તો, જે સાધક પ્રભુની આટલી નજીક પહોંચ્યો હોય, તેની પાસે પ્રભુદત્ત ઘણી શક્તિ હોય. એમની નજરમાં, સ્પર્શમાં, વાણીમાં, વિચારમાં એટલી શક્તિ હોય કે તેઓ જેના પર દ્રષ્ટિપાત કરે તે બદલાઈ જાય, સ્પર્શ કરે તે સુધરી જાય, બોલે તે સત્ય થાય. પ્રભુ અહીં આવા પહોંચેલા સાધકને એમ કહે છે કે તારે આ શક્તિ ક્ષુદ્ર બાબતોમાં, ચમત્કાર દેખાડવા માટે, પ્રકૃતિના નિયમમાં છેડછાડ કરવા માટે વાપરવાની નથી. શક્તિ હોવા છતાં વાપરવાની નથી. કારણ કે એમ કરવાથી સામાન્ય માનવનું કર્તૃત્વ મરી જશે. અને મહેનત વગર, યોગ્યતા વગર જે મળ્યું છે, તે એને પચશે પણ નહીં.

આજે ગીતા જયંતી ઊજવવામાં આવશે, આ મહાગ્રંથ આપણને જીવન જીવવાની યોગ્ય રીત શીખવાડે છે | Gita Jayanti Will Be Celebrated On 25 December - Divya Bhaskar
image socure

એમ તો પ્રભુ સર્વ શક્તિમાન છે. તેથી તે બધા જ દીકરાઓને પકડી પકડીને મોક્ષ આપી દે, તો પછી આમાં રમત ક્યાં? જીવનવિકાસ ક્યાં? જો મમ્મી જ દીકરાનું બધું લેસન કરી નાખે, તો દીકરાની કેળવણી ક્યાં? તેથી જેનો જીવનવિકાસ થયો છે, તેણે બીજાના જીવન વિકાસાર્થે મૌન પાળવું, ધીરજ રાખવી, બીજાનો વિકાસ સંઘર્ષ જોતા રહેવું, જરૂર જણાય ત્યાં જ માર્ગદર્શન કરવું, આ મૌન છે. પોતાની ઝડપ વધુ હોય તેથી મા-બાપ છોકરાને ઘસડીને ચાલવા લાગતા નથી. તે શક્તિ હોવા છતાં વાંકા વળીને,આંગળી ઝાલીને, બાળકની ઝડપે ચાલે છે. આ મૌન છે.

તેથી મૌની બનવું એટલે મનનશીલ બનવું. શક્તિનો વ્યય રોકવો. બીજાના વિકાસમાં રત રહેવું. પ્રભુ પ્રેમમાં મગન રહેવું. येनकेनचित् — કોઈપણ પ્રકારે, જ્યાં-જેની-જેવી જરૂર હોય તે પ્રકારે મૌન રહેવું. ઈન્દ્રિયોનો ભૌતિક સંસાર વ્યવહાર મર્યાદિત કરવો. ઇન્દ્રિયોને પ્રભુમાં રત રહેવાની ટેવ પાડવી.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *