ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં 67 મેચ રમી હતી. 43 જીત્યા હતા, જ્યારે 20માં પરાજય થયો હતો. ભારતીય ટીમે વર્ષ 2022માં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ 5 હાર થઇ હતી, જેના કારણે ટીમ ઇન્ડિયાને સતત શરમ અનુભવવી પડી હતી. આ 5 હારે ભારતીય ફેન્સનું દિલ ખરાબ રીતે તોડી નાખ્યું. આ 5 મેચમાં હારને કારણે ટીમ ઈન્ડિયાની ઘણી ટીકા થઈ રહી છે. આવો જાણીએ આ મેચો વિશે.
ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા. પણ ભારતીય બોલરો સારો દેખાવ કરી શક્યા નહતા અને એક પણને હરાવી શક્યા નહતા. ઇંગ્લેન્ડ માટે ઓપનર જોસ બટલરે 80 અને એલેક્સ હેલ્સે 86 રન બનાવ્યા હતા. આ પરાજયને ભારતીય ચાહકો હંમેશા યાદ રાખશે.
ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે હંમેશા સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લા ટાઈગર્સને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને બાંગ્લાદેશની ટીમે 1 વિકેટ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. ભારતીય વિકેટકીપર કેએલ રાહુલે મહેદી હસનનો એક સરળ કેચ છોડ્યો હતો. બાદમાં તેણે 38 રન બનાવી બાંગ્લાદેશને જીત અપાવી હતી.
વર્ષ 2021માં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 2 ટેસ્ટ મેચ જીતીને સીરીઝમાં 2-1ની બરાબરી કરી હતી, પરંતુ સીરીઝની બાકી રહેલી ટેસ્ટ મેચ વર્ષ 2022માં રમાઇ હતી, જેમાં જસપ્રીત બુમરાહે કેપ્ટનશિપ કરી હતી. જો રૂટ અને જોની બેયરસ્ટોએ તોફાની બેટિંગ કરીને ભારતીય ટીમથી મેચ છીનવી લીધી હતી.
એશિયા કપ 2022 સુપર-4માં ભારતીય ટીમ પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં હારી ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકા સામે જીતવું જોઈતું હતું. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને શ્રીલંકાને 110 રનમાં 4 વિકેટ પણ અપાવી હતી, પરંતુ ડેથ ઓવર્સમાં ભારતીય બોલરોની નબળી રમતને કારણે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમને કેએલ રાહુલની કેપ્ટનશિપમાં દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજી વન ડે મેચમાં દીપક ચહરની આતિશી ઇનિંગ છતાં ટીમ ઇન્ડિયા 4 રનથી હારી ગઇ હતી. મેચમાં દીપક ચહરે 34 બોલમાં 54 રન બનાવ્યા હતા.