વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ જૂન મહિનામાં યોજાવાની છે. આઇસીસીની આ ટૂર્નામેન્ટની ફાઇનલ સતત બીજી વખત ઇંગ્લેન્ડમાં યોજાઇ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પ્રથમ બે સ્થાન પર સમાપ્ત થનારી ટીમો જૂન મહિનામાં ઓવલ ખાતે ટકરાશે. જોકે ફાઈનલ મેચના લગભગ ત્રણ મહિના પહેલા માર્ચમાં જ નક્કી થઈ જશે કે કઈ બે ટીમો વચ્ચે ટાઈટલ જંગ યોજાવાનો છે.
વિશ્વભરની કુલ 12 ટીમોને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે આઈસીસીની માન્યતા છે અને આ તમામ ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી શકે છે. જોકે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનને 2018માં જ ટેસ્ટ રમવાની છુટ આપવામાં આવી હતી અને આ બંને દેશો પુરતું ટેસ્ટ ક્રિકેટ રમતાં નથી. આ જ કારણે આ બંને ટીમો ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં પણ સામેલ નથી. કુલ 10 ટીમો આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે અને આમાંથી ચાર ટીમો અત્યાર સુધી અંતિમ રેસમાંથી બહાર થઈ ગઈ છે.
હજુ કુલ છ ટીમો ફાઈનલની રેસમાં છે, પણ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ફાઈનલ રમવું લગભગ નક્કી મનાય છે. હવે જો કોઈ મોટો ઉલટફેર થશે તો જ ઓસ્ટ્રેલિયા કે ભારતની ટીમ ફાઈનલમાંથી બહાર થઈ જશે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે ફાઇનલમાં પહોંચનારી તમામ ટીમોના કયા સમીકરણો છે…
ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આ ટીમના 75.56 ટકા પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયાને હવે ભારત આવીને ચાર ટેસ્ટ મેચ રમવાની છે. જો તેઓ આ ચાર મેચ જીતી જાય તો કાંગારુ ટીમને 80.70 ટકા પોઈન્ટ મળી શકે છે અને ઓસ્ટ્રેલિયાને ફાઈનલ રમવાનું છે. જો કે આ સીરીઝ હારવા છતાં કાંગારુ ટીમ ફાઇનલમાં પહોંચશે. જો ઓસ્ટ્રેલિયા આ શ્રેણી 0-4થી હારે અને શ્રીલંકા તેની તમામ મેચો જીતે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાંથી બહાર થઈ જશે, જેની શક્યતા ખુબ જ ઓછી છે.
જ્યારે 58.93 ટકા માર્કસ સાથે ભારત ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહ્યું હતુ. હવે ભારતને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચ રમવાની છે. જો ભારત આ ચાર મેચમાં વિજય મેળવશે તો તેના 68.06 ટકા પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયા આસાનીથી ફાઇનલમાં પહોંચી જશે. જો કે ભારત ભલે આ સિરીઝ ઓછા અંતરથી જીતે તો પણ ફાઇનલમાં પહોંચી શકે છે, પરંતુ શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની ટીમો પણ ફાઇનલની રેસમાં છે. આવી સ્થિતિમાં જો ભારત શ્રેણી હારે તો શ્રીલંકા કે સાઉથ આફ્રિકા તેની બાકીની મેચો જીતીને ફાઈનલ રમી શકે છે.
શ્રીલંકાના 53.33 ટકા પોઈન્ટ્સ છે અને તેઓ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. શ્રીલંકાને હવે ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ રમવાની છે. જો તેઓ આ બંને મેચ જીતી જશે તો શ્રીલંકાની ટીમને 61.11 ટકા પોઈન્ટ મળશે અને તે ફાઈનલ રમવાની દાવેદાર બની જશે. જોકે શ્રીલંકા માટે આમ કરવું આસાન નહીં રહે. કારણ કે શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધી 19 ટેસ્ટ મેચ રમી ચૂકી છે અને માત્ર બેમાં જ જીતી શકી છે. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી જીત્યા બાદ પણ શ્રીલંકાએ આશા રાખવી પડશે કે, ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ભારતને હરાવે. આની સંભાવના પણ ઘણી ઓછી છે.