આજથી શક્તિપૂજાના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના સૌથી મોટા તહેવાર એવા નવરાત્રિનો જોરશોર સાથે શુભારંભ થઈ ચુક્યો છે. આ તહેવારની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવણી કવરામા આવશે. આ ઉત્સવ શક્તિની ઉપાસનાનો ઉત્સવ છે. શક્તિ એટલે કે મહિલાઓ પ્રત્યે સમ્માન દર્શાવવાનો ઉત્સવ છે. તમે એ સારી રીતે જાણો છો કે મહિસાસુર જેવા રાક્ષસનો વધ કરવો ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુના બસની વાત નહોતી તેનો વધ કર્યો હતો માતા દુર્ગાએ. આમ મહિલાઓમાં અપાર શક્તિ રહેલી છે અને તે શક્તિનું સમ્મન દરેકે કરવું જ જોઈએ.
શારદીય નવરાત્રી એટલે કે આસો મહિનામા આવતી નવરાત્રીનું એક આગવું મહત્ત્વ રહેલુ છે. આપણા ગુજરાતનો તો આ સૌથી મહત્તવનો તહેવાર છે. આખા વર્ષમાં ચાર નવરાત્રીઓ આવે છે જેમાં સૌથી વધારે મહત્ત્વની આ શારદીય નવરાત્રી હોય છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો વ્રત-ઉપવાસ તેમજ માતાજીની ઉપાસના કરે છે. તેમજ આ જ નવરાત્રીમાં કન્યાઓની પણ પૂજા કરવામાં આવે છે. ઘટ સ્થાપન કરવામા આવે છે. શારદીય નવરાત્રી સાથે ઘણીબધી વાયકાઓ, માન્યતાઓ અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. આજે અમે તમારા માટે આ નવરાત્રી સાથે જોડાયેલી તેવી જ કેટલીક વાતો લઈને આવ્યા છીએ.
આસો નવરાત્રિમાં શા માટે કરવામાં આવે છે કન્યાઓની પૂજા
નાની ઉંમરની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પણ આ નવરાત્રિ દરમિયાન અને ખાસ કરીને આઠમના દિવસે 2થી 10 વર્ષની ઉંમર વચ્ચેની કન્યાઓની પૂજા કરીને તેમને ભાવતુ ભોજન જમાડવામાં આવે છે. કન્યાઓની ઉંમર પ્રમાણે તેમને વિવિધ દેવીઓના સ્વરૂપ માનવામાં આવે છે જેમ કે 2 વર્ષની બાળકીને કુમારિકા કહેવાય છે તો ત્રણ વર્ષની બાળકીને ત્રિમૂર્તિ કહેવાય છે, જ્યારે 4 વર્ષની બાળકીને કલ્યાણી માનવામાં આવે છે, 5 વર્ષની કન્યાઓને રોહિણી માનવામાં આવે છે, છ વર્ષની બાળકીને કાલિકા માનવામાં આવે છે, 7 વર્ષની કન્યાને ચંડિકામાતા માનવામાં આવે છે, 9 વર્ષની કન્યાને દુર્ગામાતાનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે 10 વર્ષની બાળકીઓને સુભદ્રાનું સ્વરૂપ માનવામાં આવે છે.
બાળકો હંમેશા નિર્દોશ હોય છે તેમના મનમાં કોઈ જ કપટ, રમત કે ઝેર નથી હોતા. માટે જ તેને દેવીનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. તેમની પગ ધોઈને પૂજા કર્યા બાદ તેમને જમાડવામાં આવે છે. અને સાથે તેમને દક્ષિણા પણ આપવામાં આવે છે. તો વળી કોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે તેમને વસ્ત્ર કે પછી કોઈ વાસણની ભેટ પણ આપે છે.
વર્ષમાં ચાર વાર આવતી નવરાત્રિઓ હંમેશા બે ઋતુના જોડાણ સમયે એટલે કે સંધિકાળ દરમિયાન આવે છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે આ રીતે બે ઋતુઓ ભેગી થતી હોય તે સમયે વાયરલ ઇન્ફેક્શન થવાનું જોખમ રહેલું હોય છે. આ જ સમયગાળા દરમિયાન રોગચાળો ફેલાવો, શદી, ઉધરસ, તાવ, પેટની બિમારી, અપચો વિગેરેની સમસ્યાઓ ઉભી થતી હોય છે. આ રોગોથી બચવા માટે આયુર્વેદમાં લંઘન નામની એક વિધિનો ઉલ્લેખ છે તેને અનુસરવામાં આવે છે. અને માટે જ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે, સંયમ જાળવવામાં આવે છે જેથી કરીને રોગથી છૂટકારો પણ મળી જાય અને તમે સુરક્ષિત પણ રહો.
તમે જ્યારે પણ બિમાર પડો ત્યારે તે બિમારીથી છૂટકારો મેળવવાનો સૌથી પહેલો ઉપાય છે ખોરાકનો ત્યાગ કરવો. ખાસ કરીને ભારે ખોરાક એટલે કે અનાજ, મસાલાવાળા તામસી ખોરાકનો ત્યાગ કરવો અને ફળાહાર અપનાવવો, સાત્વિક ભોજન અપનાવવું. તેનાથી શરીરની તકલીફ દૂર થાય છે શરીર શુદ્ધ બને છે. રોગથી મુક્ત બને છે. નવરાત્રિ દરમિયાન નિયમિત પૂજા અર્ચના કરવાથી. ભક્તની દિનચર્યા નિયમિત બને છે, તેનો વ્યવહાર સાત્વિક બને છે, તેનો ખોરાક સાત્વિક બને છે, તેનું મન શાંત બને છે અને આમ થવાથી તે રોગોથી દૂર રહે છે.
માતાજીએ મહિસાસુર નામના રાક્ષશનો વધ કરવા માટે દૂર્ગામાતાનું સ્વરૂપ લીધું. દેવીમાતાના આ અવતરાનો ઉલ્લેખ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવ્યો છે. તમે એ પૌરાણિક કથા તો જાણતા જ હશો જેમાં મહિષાસુર નામના રાક્ષસે તેને મળેલા વરદાનનો દુરઉપયોગ કરીને સ્વર્ગ પર અધિકાર મેળવી લીધો હતો અને ત્યાંથી બધા જ દેવતાઓને કાઢી મૂક્યા હતા. મહિષાસુરે તપ કરીને બ્રહ્માજી પાસેથી એક વચન પ્રાપ્ત કરી લીધું હતું જે પ્રમાણે તેને દેવ કે દાનવ બન્નેમાંથી કોઈ જ હરાવી શકે તેમ નહોતું. અને તે પ્રમાણે જ થયું. દેવો તો તેને નહોતા જ હરાવી શકતા પણ શિવજી તેમજ વિષ્ણુ ભગવાન પણ તેનો વધ કરી શકે તેમન નહોતા. છેવટે મહિસષાસુરનો વધ કરવા માટે માતાજીએ દુર્ગામાતાનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું.
આ રીતે દેવી દુર્ગા અવતર્યા. શિવજીના તેજથી દેવી દુર્ગાનું મુખ બન્યું, યમરાજના તેજથી દુર્ગામાતાના વાળ બન્યા, ચંદ્રથી વક્ષસ્થળ બન્યા, સૂર્યથી તેમના પગની આંગળીઓ બની, વિષ્ણુજી દ્વારા તેમના હાથ બન્યા, કૂબેરથી તેમનું નાક, અગ્નિથી તેમના ત્રણે નેત્ર બન્યા, સંધ્યાથી તેમની ભૃકુટી બની વાયુથી તેમના કાન બન્યા અને પ્રજાપતિથી તેમના દાંત બન્યા. આમ દેવતાઓની વિશિષ્ટતાઓથી દેવી દુર્ગા અવતર્યા.
અને છેવટે તેમને શક્તિ આપવા માટે ભગવાન શિવજીએ તેમને પોતાનું ત્રિશૂળ આપ્યું, અગ્નિદેવે તેમની પ્રચંડ શક્તિ આપી, પર્વતરાજ હિમાલયે તેમની સવારી માટે સિંહ ભેટસ્વરૂપ આપ્યા, કુબેરદેવે મધથી ભરેલું પાત્ર આપ્યું, તો સરોવરે ક્યારેય ન કરમાય તેવા ફુલોની માળા આપી, સમુદ્રદેવે તેમને સુંદર આભૂષણો ભેટ આપ્યા. બ્રહ્માજીએ પોતાનું કમંડળ આપ્યું. દક્ષ પ્રજાપતિએ સ્ફઠીક માળા આપી, યમરાજે પોતાનો કાલદંડ ભેટ ધર્યો, દેવરાજ ઇન્દ્રએ તેમને વજ્ર અને ઘંટ આપ્યા. અને આ બધી જ શક્તિઓ ભેગી થઈ ત્યારે દુર્ગામાતાના હસ્તે મહિષાસુરનો વધ થયો.
આકાશ, ધરતી,પાણી, વાયુ તેમજ અગ્નિ આ પાંચ તત્ત્વો છે. કળશને આ પાંચ તત્ત્વોનું પ્રતિક માનવામાં આવે છે. કળશ બનાવવામાં આ પાંચે તત્ત્વોનો ઉપયોગ થાય છે. તેને પાણી તેમજ માટી ભેગા કરીને બનાવવામાં આવે છે, હવાથી સુકવવામાં આવે છે અને અગ્નિમાં પકવવામાં આવે છે. અને છેવટે તે તેયાર થઈ જાય ત્યારે તેની સ્થાપના કરતી વખતે તેમાં જળ ભરવામાં આવે છે. અને આ જળ ભરતી વખતે બધા જ તીર્થસ્થાનો તેમજ પવિત્ર નદીઓનું આહવાન કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં જ્યારે પણ કોઈ પણ શુભ કામનો પ્રારંભ થતો હોય ત્યારે કળશ સ્થાપના તો અત્યંત જરૂરી બની રહે છે. તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોવ, કોઈ યજ્ઞ કરી રહ્યા હોવ, કોઈ સ્થાપન કરી રહ્યા હોવ તમારે કળશ સ્થાપન તો કરવું જ પડે છે. કહેવાય છે કે કળશના મુખ પર ભગવાન વિષ્ણુ, કંઠમાં શિવજી તેમજ તેના મૂળમાં બ્રહ્માજીનો વાસ હોય છે. અને આમ કળશ સ્થાપન કવરાથી આ ત્રીદેવની પણ એક સાથે પૂજા થાય છે.
ઉપર તમને જણાવ્યું તે પ્રમાણે વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ આવે છે. તમને જણાવીએ કે હંમેશા નવરાત્રીઓ બે ઋતુઓના સંધિકાળ એટલે કે જ્યાં બે ઋતુઓનું મિલન થતું હોય એટલે કે એક ઋતુ જતી હોય અને બીજી ઋતુનો પ્રારંભ થઈ રહ્યો હોય તેવા સમયે નવરાત્રી આવતી હોય છે. વર્ષની ચાર નવરાત્રિમાં બે નવરાત્રિ ગુપ્ત હોય છે જ્યારે બે સામાન્ય હોય છે.
માહ મહિનામાં તેમજ અષાઢ મહિનામાં આવતી નવરાત્રિને ગુપ્ત ગણવામાં આવે છે જ્યારે ચૈત્રિ નવરાત્રી અને આસો નવરાત્રિને સામાન્ય ગણવામાં આવે છે. આસો નવરાત્રિ વર્ષા ઋતુની વિદાઈ પર અને શરદ ઋતુ એટલે કે શિયાળો શરૂ થવાનો હોય ત્યારે આવે છે. આ દિવસો દરમિયાન પૂજા-પાઠ, ઉપવાસ, જીવવમાં સાત્વિકતા ધારણ કરવાથી મિશ્ર સિઝનની જે બીમારીઓ હોય તેનાથી બચી શકાય છે.